અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ રિપેરિંગના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે. શહેરમાં હજુ તો સત્તાવાર ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ રોડ રસ્તા બેસી જવાની અને ભુવા પડવાની મોસમ શરૂ થઈ ગઈ છે. શહેરના વ્યસ્ત એવા વાળીનાથ ચાર રસ્તા પાસે અચાનક મુખ્ય રોડનો એક મોટો ભાગ બેસી જતાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે.


રિપેરિંગના ગણતરીના દિવસોમાં જ રસ્તો ધસી ગયો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વાળીનાથ ચાર રસ્તા પાસે જે જગ્યાએ રોડ બેસી ગયો છે, ત્યાં થોડા સમય પહેલાં જ કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. રિપેરિંગના ગણતરીના દિવસોમાં જ રસ્તો ધસી પડતાં કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. યોગ્ય મટીરિયલ અને ટેકનિકલ માપદંડો જાળવ્યા વિના વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે આ માર્ગ ધરાશાયી થયો છે.

બેરિકેટિંગ કે ચેતવણીનું બોર્ડ પણ મૂકવામાં આવ્યું નથી

સૌથી આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, રોડ બેસી ગયાને કલાકો વીતી ગયા હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મનપા દ્વારા અકસ્માત નિવારવા માટે આ જોખમી જગ્યા પર કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કે ચેતવણીનું બોર્ડ પણ મૂકવામાં આવ્યું નથી.

 દિવસ-રાત હજારો વાહનો પસાર થાય છે,

વાળીનાથ ચાર રસ્તા પરથી દિવસ-રાત હજારો વાહનો પસાર થાય છે, તેવામાં આ ખુલ્લો ખાડો ગમે ત્યારે કોઈ નિર્દોષ વાહનચાલક માટે જીવલેણ અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે જો સામાન્ય દિવસોમાં આ હાલત છે, તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન શહેરના રસ્તાઓની શું દશા થશે? તંત્ર તાત્કાલિક જાગીને યોગ્ય સમારકામ કરે તે જરૂરી છે. 


આ પણ વાંચો----     Panchmahal : પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વચ્ચે મોટી ભેખડ ધસી, બેથી વધુ વ્યક્તિ દબાયા

  • Follow us on: