અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ રિપેરિંગના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે. શહેરમાં હજુ તો સત્તાવાર ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ રોડ રસ્તા બેસી જવાની અને ભુવા પડવાની મોસમ શરૂ થઈ ગઈ છે. શહેરના વ્યસ્ત એવા વાળીનાથ ચાર રસ્તા પાસે અચાનક મુખ્ય રોડનો એક મોટો ભાગ બેસી જતાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે.
રિપેરિંગના ગણતરીના દિવસોમાં જ રસ્તો ધસી ગયો
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વાળીનાથ ચાર રસ્તા પાસે જે જગ્યાએ રોડ બેસી ગયો છે, ત્યાં થોડા સમય પહેલાં જ કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. રિપેરિંગના ગણતરીના દિવસોમાં જ રસ્તો ધસી પડતાં કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. યોગ્ય મટીરિયલ અને ટેકનિકલ માપદંડો જાળવ્યા વિના વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે આ માર્ગ ધરાશાયી થયો છે.













