લાંબા સમયથી વસ્તી વધારા માટે સંપૂર્ણપણે ઇમિગ્રેશન (આપ્રવાસન) પર નિર્ભર રહેલા કેનેડામાંથી આશ્ચર્યજનક અહેવાલો સામે આવ્યા છે. કેનેડા સરકારે તાજેતરના વર્ષોમાં ઇમિગ્રેશન ટાર્ગેટમાં જે ઘટાડો કર્યો હતો, તેની સીધી અસર હવે દેશની વસ્તી પર દેખાવા લાગી છે. 'સ્ટેટિસ્ટિક્સ કેનેડા' (Statistics Canada) ના તાજેતરના સત્તાવાર આંકડાઓ અનુસાર, ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરમાં દેશની વસ્તીમાં ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. આનો અર્થ એ થયો કે દેશમાં આશરે ૫૫,૦૨૫ લોકોની અછત વર્તાઈ છે અને કુલ વસ્તી ઘટીને લગભગ ૪૧.૪ મિલિયન રહી ગઈ છે. કેનેડાની વસ્તીમાં સતત ત્રીજા ક્વાર્ટરમાં આ ઘટાડો નોંધાયો છે, જેના કારણે સરકારની વર્તમાન ઇમિગ્રેશન નીતિઓ પર સવાલો ઉભા થયા છે.
શા માટે ઘટી રહી છે વસ્તી?
નિષ્ણાતોના મતે, આ ઘટાડા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે – પહેલું ઇમિગ્રેશન ટાર્ગેટમાં કરાયેલી કાપ મૂકતી નીતિ અને બીજું દેશનો સતત ઘટી રહેલો જન્મદર. 'મેકમાસ્ટર યુનિવર્સિટી' ના પ્રોફેસર બ્રુસ ન્યૂબોલ્ડના જણાવ્યા અનુસાર, કેનેડામાં 'બેબી બૂમ' ના સમયગાળા પછી જન્મદર સતત ઘટ્યો છે અને તે હવે વસ્તીના સંતુલન માટે જરૂરી 'રિપ્લેસમેન્ટ લેવલ' કરતા પણ નીચે પહોંચી ગયો છે. અત્યાર સુધી ઇમિગ્રેશન આ ખાધને પૂરી કરતું હતું, પરંતુ હવે સરકારી નીતિઓમાં કડકાઈ આવતા આ સંતુલન બગડ્યું છે.ઇમિગ્રેશન વિભાગ (IRCC) એ વર્ષ ૨૦૨૬ માટે આપ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરી છે. સરકારનો લક્ષ્યાંક ૨૦૨૭ ના અંત સુધીમાં દેશની “કામચલાઉ વસ્તી” (Temporary Population) ને કુલ વસ્તીના ૫ ટકાથી નીચે લાવવાનો છે.













