અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની નીતિ અને સૈન્ય કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો છે. જી-7 શિખર સંમેલન દરમિયાન કતારના અમીર સાથેની મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ સામે લડવામાં ઈઝરાયલ કરતાં સીરિયા વધુ અસરકારક રીતે કાર્યવાહી કરી શકે છે.



બેરૂત હુમલાને લઈ ટ્રમ્પે અસંતોષ વ્યક્ત કર્યો 

ટ્રમ્પે કહ્યું કે ઈઝરાયલ હિઝબુલ્લાહ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે, પરંતુ તેમાં નિર્દોષ નાગરિકોના પણ જીવ જઈ રહ્યા છે. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું કે દરેક વખતે કોઈ એક વ્યક્તિને નિશાન બનાવવા માટે આખી ઈમારત તોડી પાડવી યોગ્ય નથી, કારણ કે ત્યાં રહેતા તમામ લોકો હિઝબુલ્લાહ સાથે જોડાયેલા નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ એ પણ દાવો કર્યો કે લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીએ ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને ગંભીર રીતે અસર પહોંચાડી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીથી પ્રદેશમાં તણાવ ઘટાડવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો હતો. ટ્રમ્પે બેરૂત પર થયેલા તાજેતરના હુમલા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

સ્વિટ્ઝર્લેન્ડમાં સત્તાવાર કરાર પર હસ્તાક્ષર થશે 

ટ્રમ્પે ઈઝરાયલને અમેરિકા તરફથી મળતા સમર્થનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અમેરિકાના સહયોગ વિના ઈઝરાયલની સ્થિતિ ઘણી નબળી બની શકે. જોકે, કડક ટિપ્પણીઓ છતાં તેમણે નેતન્યાહૂ સાથેના સંબંધોમાં કોઈ તણાવ હોવાનો ઈનકાર કર્યો અને બંને વચ્ચે સારા સંબંધો હોવાનું જણાવ્યું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા માટે એક શાંતિ માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસ્તાવિત સમજૂતીમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવા અને ઈરાન પરની કેટલીક અમેરિકી પ્રતિબંધોમાં રાહત જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં સત્તાવાર સમજૂતી પર હસ્તાક્ષર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : માત્ર 24 કલાકમાં Elon Muskએ કમાવી Warren Buffett જેટલી સંપત્તિ, નેટવર્થ થઈ $1.27 ટ્રિલિયન


  • Follow us on: