ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે 16-17 એપ્રિલના રોજ યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ થયો તે પહેલાના છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલી સેના (IDF) એ વિનાશક કાર્યવાહી કરી હતી. IDF એ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે, સીઝફાયર અમલમાં આવે તે પહેલા જ તેમણે હિઝબુલ્લાહના ગઢ ગણાતા બિંત ઝ્બીલ વિસ્તારના ચીફ કમાન્ડર અલી રિદા અબ્બાસ સહિત 150 થી વધુ આતંકીઓને ઠાર કર્યા હતા.


છેલ્લા 24 કલાકમાં મોટી કાર્યવાહી

IDF ના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સમજૂતીના પ્રભાવમાં આવવાના બરાબર 24 કલાક પહેલા ઈઝરાયેલે હિઝબુલ્લાહના 300 થી વધુ સૈન્ય મથકોને તોડી પાડ્યા હતા. આ હુમલાઓમાં હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર, ડ્રોન (UAV), એન્ટી-ટેન્ક મિસાઈલ પોઈન્ટ્સ અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કમાન્ડર અલી રિદા અબ્બાસની મોતને ઈઝરાયેલ માટે મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે તે ઈઝરાયેલ વિરુદ્ધ અનેક હુમલાઓનો માસ્ટરમાઈન્ડ હતો.

હિઝબુલ્લાહને ભારે નુકસાન 

આ કાર્યવાહી પાછળનો હેતુ સીઝફાયર લાગુ થયા બાદ પણ ઈઝરાયેલી સૈનિકો પરના સંભવિત ખતરાને નાબૂદ કરવાનો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી 10 દિવસનો નાજુક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ તે પહેલા IDF એ હિઝબુલ્લાહના સૈન્ય માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ લેબનાનનો બિંત ઝ્બીલ વિસ્તાર હિઝબુલ્લાહનો સૌથી મજબૂત ગઢ માનવામાં આવે છે, જ્યાં છેલ્લા અનેક સપ્તાહથી ભારે સંઘર્ષ ચાલી રહ્યો હતો.

આ પણ વાંચો: Strait of Hormuz: અમેરિકાથી એશિયા સુધી અરાજકતા, તેલ અને LPGનો ખોરવાશે પુરવઠો, જાણો શું છે માહોલ?

  • Follow us on: