ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં પહેલેથી જ તણાવ છે, ત્યારે ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતે અત્યંત ઝેરીલું અને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. એક કાલ્પનિક સ્થિતિનો ઉલ્લેખ કરતા બાસિતે જણાવ્યું કે, જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે, તો પાકિસ્તાને બદલામાં ભારતના મુંબઈ અને દિલ્હી જેવા શહેરો પર બોમ્બ ફેંકવા જોઈએ.
ભારતમાં 3 વર્ષ રહ્યા હતા તૈનાત
અબ્દુલ બાસિત એ જ વ્યક્તિ છે, જેઓ વર્ષ 2014 થી 2017 દરમિયાન દિલ્હીમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જે વ્યક્તિ ભારતની રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈની ગલીઓથી વાકેફ હોય, તે જ વ્યક્તિ જ્યારે આ શહેરોને દહલાવવાની વાત કરે છે, ત્યારે તેમની અને પાકિસ્તાની તંત્રની માનસિકતા ખુલ્લી પડી જાય છે. બાસિત અગાઉ જર્મનીમાં પણ પાકિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે.
અફઘાનિસ્તાન સાથે વધતો સંઘર્ષ
બાસિતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાન પોતે પડોશી દેશ અફઘાનિસ્તાન સાથે ગંભીર યુદ્ધ જેવી સ્થિતિમાં ફસાયેલું છે. તાજેતરમાં પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના કાબુલ અને કંધાર જેવા વિસ્તારોમાં ભીષણ બોમ્બમારો કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી વધુ ખરાબ કરી
તાલિબાન સરકારનો આરોપ છે કે, પાકિસ્તાને કાબુલમાં એક નશા મુક્તિ કેન્દ્ર પર બોમ્બ ફેંક્યા છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 400 થી વધુ નિર્દોષ લોકોના મોત થયા છે. એક તરફ પાકિસ્તાનની પશ્ચિમ સરહદ સળગી રહી છે અને નિર્દોષોના લોહી વહી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેના પૂર્વ રાજદ્વારીઓ ભારત વિરૂદ્ધ કોરી ધમકી આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી વધુ ખરાબ કરી રહ્યા છે. ભારતીય રક્ષણ નિષ્ણાતો આ નિવેદનને માત્ર હતાશાનું પરિણામ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો - PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાતચીત, વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ મુદ્દે કરી ચર્ચા