હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રે ફરી એકવાર ભારે તણાવ સર્જાયો છે. ઓમાનના દરિયાકાંઠા નજીક સિંગાપોરના ધ્વજ ધરાવતા કાર્ગો શિપ 'એવર લવલી' પર થયેલા આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની દરિયાઈ એજન્સી ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ મોટો નિર્ણય લીધો છે. એજન્સીએ પર્સિયન ગલ્ફમાં ફસાયેલા 11,000 થી વધુ નાવિકોને સુરક્ષિત બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન અસ્થાયી રૂપે રોકી દીધું છે, જેના કારણે દરિયાની વચ્ચે ફસાયેલા નાવિકોની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
ઈરાન શા માટે નારાજ છે?
હકીકતમાં, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે બે દરિયાઈ કોરિડોર (રસ્તા) છે. પહેલો રસ્તો ઈરાનના દરિયાઈ વિસ્તારમાંથી જાય છે, જ્યાં ઈરાનની નવી એજન્સી PGSA ની પરવાનગી લેવી ફરજિયાત છે. ઈરાને લારક આઈલેન્ડ પાસે પોતાનો સત્તાવાર રૂટ બનાવ્યો છે. બીજો રસ્તો ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થાય છે, જેનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર અને ઓમાન સંયુક્ત રીતે ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે કરી રહ્યા હતા. ઈરાને અગાઉ જ ચેતવણી આપી હતી કે તેના દ્વારા નક્કી કરાયેલા રૂટ સિવાય અન્ય કોઈ રસ્તાનો ઉપયોગ કરવામાં આવશે તો તેની સુરક્ષાની કોઈ ગેરંટી રહેશે નહીં. ઈરાનની મંજૂરી વિના ઓમાનના રૂટનો ઉપયોગ કરવા બદલ નારાજ થઈને ઈરાને આ ડ્રોન હુમલો કર્યો હોવાનું મનાય છે.













