અફઘાનિસ્તાનના પૂર્વી અને દક્ષિણ-પૂર્વી સરહદી વિસ્તારોમાં આવેલા ત્રણ પ્રાંતો—નંગરહાર, પક્તિકા અને ખોસ્ત—છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે સૌથી મોટો સુરક્ષા ખતરો બની ગયા છે. પાકિસ્તાની સેના દ્વારા આ વિસ્તારોમાં વારંવાર એરસ્ટ્રાઈક (હવાઈ હુમલા) કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે આ પ્રાંતોમાં સક્રિય 'તહરીક-એ-તાલિબાને પાકિસ્તાન' (TTP) નામના આતંકવાદી સંગઠનના અડ્ડાઓ પર આ હુમલા કરવામાં આવે છે, જેઓ પાકિસ્તાનની ધરતી પર હુમલા કરીને અફઘાનિસ્તાનમાં છુપાઈ જાય છે. જોકે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આ હુમલાઓની આકરી નિંદા કરે છે અને આક્ષેપ કરે છે કે પાકિસ્તાન નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.
ભૌગોલિક રચના આતંકીઓ માટે આશીર્વાદરૂપ
ભૌગોલિક દ્રષ્ટિએ આ ત્રણેય પ્રાંતો ખૂબ જ મહત્વના અને દુર્ગમ છે. નંગરહાર પ્રાંત પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સરહદ સાથે જોડાયેલો છે, જ્યારે પક્તિકા અને ખોસ્ત પણ ડ્યુરેન્ડ લાઇન (સરહદ) ની નજીક છે. આ વિસ્તારો પહાડી, ગીચ જંગલો અને મુશ્કેલ રસ્તાઓથી ઘેરાયેલા છે, જે આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન (Safe Haven) સમાન સાબિત થાય છે. દુર્ગમ વિસ્તાર હોવાને કારણે અહીં સુરક્ષા દળો સરળતાથી પહોંચી શકતા નથી, જેનો ફાયદો TTPના લડવૈયાઓ ઉઠાવે છે.













