પાકિસ્તાની સેના દ્વારા પોતાના જ દેશના વિવિધ પ્રાંતો, સંવેદનશીલ વિસ્તારો અને પાડોશી દેશ અફઘાનિસ્તાનની સરહદો પર વ્યાપક હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. જનરલ આસિમ મુનીરની સેના દ્વારા PoK (પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર), વઝીરિસ્તાન, બલૂચિસ્તાન અને સરહદ પાર અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાનો ચલાવીને મોટો રક્તપાત સર્જવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
PoKમાં હક માંગવા બદલ મળી બર્બરતા
એક ગુપ્ત દસ્તાવેજ (સીક્રેટ ડોઝિયર) અનુસાર, ૫ જૂનથી ૯ જૂન દરમિયાન PoKમાં મોંઘવારી, બેરોજગારી અને આર્થિક બદહાલી વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના પ્રદર્શનકારીઓ પર સુરક્ષા દળોએ ક્રૂરતાપૂર્વક બળપ્રયોગ કર્યો હતો. આ હિંસક કાર્યવાહીમાં ૨૬ સામાન્ય નાગરિકોના મોત થયા છે, જેમાં ૧૯ બાળકો અને ૭ ગર્ભવતી મહિલાઓ સામેલ છે. આ ગંભીર માનવીય સંકટની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાની માંગ ઉઠી છે.
અફઘાનિસ્તાન સરહદ પર હવાઈ હુમલો
પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરીને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતના રહેણાંક વિસ્તારો પર અંધાધુંધ બોમ્બમારો કર્યો છે. અફઘાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ૧૩ નિર્દોષ લોકોના મોત થયા છે, જેમાં ૧૧ માસૂમ બાળકો અને એક મહિલા સામેલ છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ પણ પાકિસ્તાનની આ હિંસક કાર્યવાહીની સખત નિંદા કરી છે.
વઝીરિસ્તાન અને બલૂચિસ્તાનમાં સૈન્ય ઓપરેશન
બીજી તરફ, ઉત્તર વઝીરિસ્તાનના મીર અલી અને મીરાનશાહ વિસ્તારમાં ચલાવવામાં આવેલા કડક ઓપરેશનમાં પાકિસ્તાની આર્મીએ ૨૭ વિદ્રોહી લડાકુઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત, ૨ જૂનના રોજ પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં પણ મોટી સૈન્ય કાર્યવાહી કરી હતી. ગત ૨૪ મેના રોજ ક્વેટામાં એક શટલ ટ્રેન પર થયેલા બોમ્બ બ્લાસ્ટનો બદલો લેવા માટે સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરીને 'બલૂચ લિબરેશન આર્મી' (BLA) સાથે જોડાયેલા ૧૭ વિદ્રોહીઓને ઠાર કર્યા છે અને તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો તથા હથિયારો જપ્ત કર્યા છે. આ રીતે પાકિસ્તાની આર્મી પોતાના જ નાગરિકો પર અને સરહદ પાર આતંક મચાવી રહી છે.
આ પણ વાંચો:Summerમાં તરબૂચ કેમ બને છે ફૂડ પોઇઝનિંગનું કારણ, જાણો શું કહે છે ડોક્ટર