અમદાવાદના સાણંદ તાલુકાના નિધરાડ ગામમાં રહેણાંક વિસ્તારની એક ઓરડીમાં ગેરકાયદે કતલખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે સાણંદ પોલીસે ઓચિંતી રેઇડ કરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અહીં કોઈપણ જાતની પરવાનગી વગર અબોલ પશુ-પક્ષીઓની કતલ કરવામાં આવતી હોવાનું ખુલતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.


4 જીવતા બકરા અને 14 મરઘીઓનો છુટકારો

પોલીસ રેડ દરમિયાન ઓરડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા 4 જીવતા બકરા અને 14 મરઘીઓને બચાવી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી બકરા અને મરઘીના માંસનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત પશુઓની કતલ કરવા માટે ઉપયોગમાં લેવાતા ધારદાર સાધનો અને અન્ય સામગ્રી પણ પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કરી છે.

ઓરડીના માલિક સહિત બે શખ્સો પોલીસ સકંજામાં

આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ બે શખ્સોની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી છે. આ સાથે જ જે ઓરડીમાં આ કતલખાનું ચાલતું હતું, તે ઓરડીના માલિક સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ માંસનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.

પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ

સાણંદ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ 'પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ' સહિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાણંદ પંથકમાં આ પ્રકારે ચાલતા ગેરકાયદે કતલખાના સામે પોલીસની આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Jagannath Rath Yatra 2026: 149મી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ, જગન્નાથ મંદિરે રથપૂજન વિધિ, મંદિરમાં ચંદનયાત્રા અને રથપૂજન વિધિ સંપન્ન!


  • Follow us on: