વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત સમગ્ર તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદે માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. વાઘોડિયાના રામેશ્વરપુરાથી અંટોલી જવાના મુખ્ય રોડ પર માર્ગ મકાન વિભાગ દ્વારા તાજેતરમાં જ ત્રણથી વધુ નવીન નાળાઓ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આ નાળા અને મુખ્ય રોડનું લેવલિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. રોડનું લેવલિંગ લગભગ બે ફૂટ જેટલું નીચું રાખવામાં આવતા પહેલા જ વરસાદમાં અહીં માર્ગ બેસી જવાની ભીતિ સેવાઈ રહી છે.


 મોટી માત્રામાં ચીકણી માટી અને કાદવ પથરાઈ ગયો

વરસાદ પડતાંની સાથે જ નવીન બનેલા નાળાના બંને છેડા પર મોટી માત્રામાં ચીકણી માટી અને કાદવ પથરાઈ ગયો છે. આ ચીકણી માટીના કારણે વહેલી સવારથી જ નોકરી-ધંધે જતા અનેક બાઇક ચાલકો સ્લિપ થઈ જતાં નાના-મોટા અકસ્માતોનો ભોગ બન્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે વહેલી સવારે વાઘોડિયાથી અંટોલી જતી બસ આ કાદવ અને ચીકણી માટીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. બસ ફસાઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને આખરે ગામલોકો તેમજ મુસાફરોએ એકઠા થઈને ભારે જહેમત બાદ બસને ધક્કા મારીને કાદવમાંથી બહાર કાઢવી પડી હતી.

 નાળા પર ઠેર-ઠેર મોટી તિરાડો દેખાવા લાગી

સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ છે કે હજુ તો નાળાનું કામ પૂરું થયું છે ત્યાં જ નવીન બનેલા નાળા પર ઠેર-ઠેર મોટી તિરાડો દેખાવા લાગી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે નાળાના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. લેવલિંગના અભાવે અને કાદવના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી બન્યું છે. સ્થાનિકોએ આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા અને તાત્કાલિક રોડનું સરખું લેવલિંગ કરવા ઉગ્ર માંગ કરી છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું



  • Follow us on: