વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત સમગ્ર તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદે માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. વાઘોડિયાના રામેશ્વરપુરાથી અંટોલી જવાના મુખ્ય રોડ પર માર્ગ મકાન વિભાગ દ્વારા તાજેતરમાં જ ત્રણથી વધુ નવીન નાળાઓ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આ નાળા અને મુખ્ય રોડનું લેવલિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. રોડનું લેવલિંગ લગભગ બે ફૂટ જેટલું નીચું રાખવામાં આવતા પહેલા જ વરસાદમાં અહીં માર્ગ બેસી જવાની ભીતિ સેવાઈ રહી છે.
મોટી માત્રામાં ચીકણી માટી અને કાદવ પથરાઈ ગયો
વરસાદ પડતાંની સાથે જ નવીન બનેલા નાળાના બંને છેડા પર મોટી માત્રામાં ચીકણી માટી અને કાદવ પથરાઈ ગયો છે. આ ચીકણી માટીના કારણે વહેલી સવારથી જ નોકરી-ધંધે જતા અનેક બાઇક ચાલકો સ્લિપ થઈ જતાં નાના-મોટા અકસ્માતોનો ભોગ બન્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે વહેલી સવારે વાઘોડિયાથી અંટોલી જતી બસ આ કાદવ અને ચીકણી માટીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. બસ ફસાઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને આખરે ગામલોકો તેમજ મુસાફરોએ એકઠા થઈને ભારે જહેમત બાદ બસને ધક્કા મારીને કાદવમાંથી બહાર કાઢવી પડી હતી.













