રાજય સરકારની મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. તાલુકામાં અગાઉ બાકી રહેલા ગામોમાં હવે દિવસ દરમ્યાન ખેતીવાડી વીજ પુરવઠો વિધિવત રીતે શરૂ કરવામાં આવતા કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ પૂર્ણ થયો છે.
નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે
સુરતના મહુવા તાલુકામાં આવેલ ૬૬ કેવી બામણિયા અને ૬૬ કેવી ભીમપોર સબસ્ટેશનમાંથી નીકળતા ખેતીવાડી ફીડરોમાં અગાઉ બે શિફ્ટ મુજબ પુરવઠો આપવામાં આવતો હતો. જેટેકો દ્વારા લાઈનના મજબૂતીકરણ માટે અંદાજે રૂપિયા ૨૫ લાખના ખર્ચે જરૂરી કામગીરી પૂર્ણ થતા, મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કુલ ૧૧ એ.જી.(ખેતીવાડી) ફીડરોને દિવસ દરમ્યાન વીજ પુરવઠા માટે વિધિવત રીતે કાર્યરત કરવામાં આવ્યા છે. ૬૬ કેવી બામણિયા સબ સ્ટેશનમાંથી કુલ ૦૭ એ.જી. ફીડરો નામે ઝેરવાવરા, કાંકરીયા, ભગવાનપુરા, કઢૈયા, બારતાડ, પુના અને નેવાણિયા, આ ફીડરો દ્વારા લાભાર્થી ૧૮ ગામોના કુલ ૨૫૯૫ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસ દરમ્યાન નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે.













