ગુજરાતભરમાં અષાઢી બીજના પવિત્ર પર્વે નીકળનારી અમદાવાદની જગવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે છે, તે ત્રણેય પવિત્ર રથોના રિપેરિંગ અને સુશોભનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પરંપરાગત કારીગરો દ્વારા ત્રણેય રથોના રંગ-રોગાનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.


સંપૂર્ણપણે નવા લાકડાના પૈડાં ફિટ કરવામાં આવ્યા

આ વર્ષે રથયાત્રા ખાસ બની રહેશે કારણ કે ભગવાનના રથોની વર્ષો જૂની પરંપરા મુજબ મજબૂતાઈ જાળવી રાખવા માટે રથોમાં સંપૂર્ણપણે નવા લાકડાના પૈડાં ફિટ કરવામાં આવ્યા છે. ભક્તો અને ખલાસી ભાઈઓ દ્વારા રથના પૈડાંનું પૂજન કરીને તેને રથ સાથે જોડવામાં આવ્યા છે. 

જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ 

બીજી તરફ, રથયાત્રાની તૈયારીઓ શરૂ થતાં જ જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વહેલી સવારથી જ મંદિર પરિસર 'જય રણછોડ, માખણ ચોર' અને 'જય જગન્નાથ'ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.

પોલીસ વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરુ

મંદિર પ્રશાસન અને પોલીસ વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને રૂટ વ્યવસ્થાને લઈને બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે. સાધુ-સંતો અને દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ભંડારા અને ઉતારાની વ્યવસ્થા આટોપી લેવામાં આવી રહી છે. ગત વર્ષોની જેમ આ વર્ષે પણ ટેકનોલોજી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાખો ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન કરી ધન્યતા અનુભવશે. આગામી દિવસોમાં જળયાત્રા સહિતની ધાર્મિક વિધિઓ સાથે રથયાત્રાનો મહોત્સવ વિધિવત રીતે આગળ વધશે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી

  • Follow us on: