ગુજરાતભરમાં અષાઢી બીજના પવિત્ર પર્વે નીકળનારી અમદાવાદની જગવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે છે, તે ત્રણેય પવિત્ર રથોના રિપેરિંગ અને સુશોભનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પરંપરાગત કારીગરો દ્વારા ત્રણેય રથોના રંગ-રોગાનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સંપૂર્ણપણે નવા લાકડાના પૈડાં ફિટ કરવામાં આવ્યા
આ વર્ષે રથયાત્રા ખાસ બની રહેશે કારણ કે ભગવાનના રથોની વર્ષો જૂની પરંપરા મુજબ મજબૂતાઈ જાળવી રાખવા માટે રથોમાં સંપૂર્ણપણે નવા લાકડાના પૈડાં ફિટ કરવામાં આવ્યા છે. ભક્તો અને ખલાસી ભાઈઓ દ્વારા રથના પૈડાંનું પૂજન કરીને તેને રથ સાથે જોડવામાં આવ્યા છે.













