અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ પીડિત પરિવારોની આંખોના આંસુ હજુ સુકાયા નથી અને ન્યાયની આશા હજુ અધૂરી છે. હોસ્ટેલ મેસ પર પ્લેન તૂટી પડવાની એ કાળઝાળ ઘટનાને યાદ કરીને આજે પણ બી.જે. મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર્સ અને મૃતકોના સ્વજનો ધ્રૂજી ઊઠે છે. એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ અકસ્માત પાછળનું સાચું કારણ બહાર ન આવતા સરકાર સામે સવાલો ઊભા થયા છે.
"મારો ભાઈ ડોક્ટર ન બની શક્યો, હવે હું બનીશ"
આ અકસ્માતમાં બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 4 હોનહાર વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા, જેમાં રાજસ્થાનના બાડમેરથી મેડિકલ ભણવા આવેલા જયપ્રકાશ ચૌધરી પણ સામેલ હતા. મેસમાં જમતી વખતે જ કાળમુખું વિમાન તેમના પર તૂટી પડ્યું હતું. જયપ્રકાશના ભાઈ હનુમાનરામ ચૌધરી અને પ્રતાપ ચૌધરીએ ભારે હૈયે જણાવ્યું કે, "અમારા ઘરની સ્થિતિ અત્યંત દયનીય છે. ભાઈની ઈચ્છા ડોક્ટર બનવાની હતી જે અધૂરી રહી ગઈ, હવે હું ડોક્ટર બનીને તેનું સપનું પૂરું કરીશ. પણ અમારી માંગ છે કે એક વર્ષ પછી પણ તપાસ રિપોર્ટ કેમ જાહેર નથી થયો? સરકાર હકીકત બહાર લાવે અને અમને ન્યાય આપે."













