અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા પૂર્વે અષાઢી દૂજના પવિત્ર અવસરે માહોલ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયો છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે પોતાના પરંપરાગત મોસાળ એવા સરસપુર ખાતે પધારી ચૂક્યા છે. મહાપ્રભુજીના આગમન સાથે જ સમગ્ર સરસપુર પંથકમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વાતાવરણ 'જય રણછોડ, માખણચોર' ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું છે. મોસાળના ભક્તોએ ભગવાનના ઉષ્માભર્યા સ્વાગત સાથે તેમને લાડ લડાવવાનું શરૂ કરી દીધું છે.


15 દિવસ સુધી પ્રભુ માણશે મોસાળનું આતિથ્ય

ભગવાન જગન્નાથજી આગામી 15 દિવસ સુધી પોતાના મોસાળ સરસપુરમાં જ મુકામ કરશે. ભાણેજ બનીને આવેલા ત્રણેય ભાઈ-બહેનોની આગતા-સ્વાગતામાં મોસાળવાસીઓ કોઈ કસર છોડવા માંગતા નથી. આ પવિત્ર દિવસો દરમિયાન ભક્તો દ્વારા ભજન, કીર્તન અને ધૂનના તાલે ભગવાનની વિશેષ સેવા-આરાધના કરવામાં આવી રહી છે. ભક્તો અને ભગવાન વચ્ચેનો આવો અલૌકિક પ્રેમ જોઈને સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું છે.

પરંપરાગત મામેરાની ભવ્ય તૈયારીઓ

મોસાળમાં રોકાણ દરમિયાન ભગવાનનું પરંપરાગત અને ભવ્ય મામેરું ભરવા માટેની તૈયારીઓ પણ સરસપુરમાં જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનને અતિપ્રિય એવા વિવિધ પકવાનો અને વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે, તેમજ રથયાત્રાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની ભવ્ય વ્યવસ્થા પણ અહીના વિવિધ પોળોના રસોડામાં કરવામાં આવશે. ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય

  • Follow us on: