અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149 મી ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તે પૂર્વે યોજાનારી પરંપરાગત જળયાત્રાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રવિવારે જળયાત્રાના સમગ્ર રૂટ પર એક ફુલ-સ્કેલ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરા સુધી પરંપરાગત રીતે યોજાશે, જેને લઈને વહીવટી અને ધાર્મિક તૈયારીઓ આખરી તબક્કામાં છે.


500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

ભગવાનની જળયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે. રવિવારે યોજાયેલા રિહર્સલ દરમિયાન કાફલાની મૂવમેન્ટ, ઈમરજન્સી સેફ્ટી, ટ્રાફિક મેનેજમેન્ટ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, જેથી મુખ્ય દિવસ પર કોઈ અડચણ ન ઊભી થાય.

ટેકનોલોજીથી સજ્જ સુરક્ષા

આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રથયાત્રા અને જળયાત્રાના રૂટ પર આવતીકાલે રાત્રિથી જ હાઈટેક ઇ-વ્હીકલ દ્વારા ખાસ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ સમગ્ર રૂટ પર લગાડવામાં આવેલા CCTV કેમેરા નેટવર્કનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવાયું છે. યાત્રા દરમિયાન અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે, જેનાથી સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત અને અભેદ બનશે.


આ પણ વાંચો - Ahmedabad: ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રાની તૈયારીઓ પૂર્ણ, 108 કળશ સાથે થશે વિધિવત ગંગાપૂજન


  • Follow us on: