અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે 149મી વખત નીકળવા જઈ રહી છે.આ ભવ્ય અને પવિત્ર પ્રસંગને અનુલક્ષીને શહેર પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર છે.લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવી આ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.


શહેર પોલીસનું EV વાહનથી રૂટ પેટ્રોલિંગ શરૂ થયું

સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સજ્જ બનાવવા માટે પોલીસ દ્વારા અત્યાધુનિક ઈલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.આ વાહનો દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.જેથી કોઈપણ ખૂણે કોઈ પણ ગતિવિધિ પર નજર રાખી શકાય.આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેસીપી (JCP) અને ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ જાતે મેદાનમાં ઉતરીને રથયાત્રાના રૂટની ચુસ્ત ચકાસણી કરી રહ્યા છે અને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકા આપી રહ્યા છે.

રથયાત્રા રૂટ પર સુરક્ષા વધુ મજબૂત બનાવાઈ

રથયાત્રાનો રૂટ લાંબો હોવાથી જે વિસ્તારો સંવેદનશીલ ગણાય છે ત્યાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.કોઈ પણ અસામાજિક તત્વો કે અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે પોલીસનો કાફલો સતત તહેનાત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડ્સને રથયાત્રાના રૂટ પર તહેનાત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.આયોજનબદ્ધ રીતે પોલીસની વિવિધ ટુકડીઓ સુરક્ષામાં તૈનાત રહેશે જેથી રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય.પોલીસ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રામાં સામેલ થનારા લાખો શ્રદ્ધાળુઓ અને નાગરિકો માટે એક નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો છે. 


આ પણ વાંચોઃ Mehsanaના વિસનગરમાં દબાણ હટાવવાની કામગીરી મોટા વિવાદમાં: ખોટા સર્વે નંબર પર મકાનો તોડી પાડ્યાનો આક્ષેપ


  • Follow us on: