અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહ દ્વારા પાંચ વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવાની કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. નાના એવા ચતુરી ગામમાં દાદાની આંગળી પકડીને જઈ રહેલા માસૂમ બાળકને એક સિંહણ અચાનક આવીને ઉઠાવી ગઈ હતી અને 1 કિલોમીટર દૂર સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં માતા-પિતાના એકના એક 5 વર્ષના દીકરાનો ક્ષત-વિક્ષત મૃતદેહ સીમમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ગમગીની વ્યાપી ગઈ છે.


અત્યાર સુધીમાં કુલ 8 સિંહોને પાંજરે પૂરી દેવામાં આવ્યા

આ ઘટનાના રાજ્ય સરકાર સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વન વિભાગ દ્વારા તાબડતોબ એક્શન મોડમાં આવીને ચતુરી ગામે સિંહોને પકડવા માટે સળંગ ત્રીજા દિવસે પણ મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રે વન વિભાગે વધુ 3 સિંહોને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાના પ્રથમ દિવસે જ વન વિભાગે 5 સિંહોને ટ્રેક્યૂલાઈઝર કરીને પકડ્યા હતા. આમ, ચતુરી ગામેથી અત્યાર સુધીમાં કુલ ૮ સિંહોને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે.

નર સિંહે કરેલી ઉલટીમાંથી માસૂમ બાળકના અવશેષો મળી આવ્યા

વન વિભાગની તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, પકડાયેલા સિંહો પૈકી એક નર સિંહે કરેલી ઉલટીમાંથી માસૂમ બાળકના અવશેષો મળી આવ્યા છે. વન વિભાગ દ્વારા આ અવશેષોને તાત્કાલિક લેબોરેટરી તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય પકડાયેલા સિંહોના પણ સેમ્પલ લઈને તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે જેથી નરભક્ષક સિંહની સચોટ ઓળખ થઈ શકે.

શુક્રવારે વનમંત્રી પણ ગામમાં પહોંચ્યા હતા

આ ગોઝારી ઘટનાને પગલે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા તાત્કાલિક ચતુરી ગામે પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે શોકાતુર માતા-પિતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને વન વિભાગ તરફથી કડક પગલાં લેવાની ખાતરી આપી હતી.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર

  • Follow us on: