ભરૂચમાં આવેલી પુરાતની જામા મસ્જિદને લઈને ફરી એકવાર નવો વિવાદ ગરમાયો છે. આ ઐતિહાસિક સ્થળ વાસ્તવમાં જૈન તીર્થ હોવાનો દાવો ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જૈન ધર્મના અગ્રણી સંતો અને આગેવાનોએ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી, જેનાથી સ્થાનિક સ્તરે અને ધાર્મિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે. જૈન સંતો દ્વારા આ વિવાદિત સ્થળને પ્રાચીન જૈન ધરોહર “સમડી વિહાર” (અથવા શકુનિકા વિહાર) ગણાવવામાં આવ્યું છે.


ભોંયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી

મુલાકાતે પહોંચેલા પૂજ્ય રાજસુંદર વિજયજી મહારાજ સહિતના જૈન સંતોએ આક્ષેપ કર્યો છે કે, તેમને મસ્જિદના ભોંયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જૈન ઇતિહાસની વાયકાઓ અનુસાર, સદીઓ પહેલાં લંકાની રાજકુમારીએ ભરૂચની પવિત્ર ભૂમિ પર એક ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું, જે 'સમડી વિહાર' તરીકે ઓળખાતું હતું અને આજે પણ જૈન ઇતિહાસમાં આ સ્થળ વિશેષ મહત્વ ધરાવે છે.

ધરોહરની ભારે ઉપેક્ષા

સંતોએ આક્ષેપ કર્યો છે કે, આ સ્થળ પર જે નવું બાંધકામ થયું છે તે તદ્દન ખોટું છે અને પુરાતત્વ વિભાગે અગાઉ આ ધરોહરની ભારે ઉપેક્ષા કરી છે.

 યોગ્ય શુદ્ધિકરણ અને સંવર્ધન થવું ખૂબ જ જરૂરી

આ મુલાકાત બાદ જૈન સમાજ અને સંતો દ્વારા આ પ્રચીન ધરોહરના સંરક્ષણ માટે સરકાર અને પુરાતત્વ વિભાગ સમક્ષ જોરદાર માગ ઉઠાવવામાં આવી છે. સંતોનું કહેવું છે કે આ ઐતિહાસિક વારસાને બચાવવા માટે સ્થળનું યોગ્ય શુદ્ધિકરણ અને સંવર્ધન થવું ખૂબ જ જરૂરી છે.

વિવાદ વધુ વણસે તેવી શક્યતાઓ

ભરૂચની આ મસ્જિદ અગાઉ પણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ સંરક્ષિત સ્મારક રહી ચૂકી છે, ત્યારે જૈન સંતોના આ નવા દાવા અને મુલાકાતને પગલે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વણસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી

  • Follow us on: