આજે ભાવનગર શહેરનાં નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા તરીકે ઓળખાતી સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણો ફલીત થયેલા હતા. જે બાદ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેટ દ્વારા દબાણકારોને પુરાવાઓ રજૂ કરવાની નોટીસ આપવામાં આવી હતી. દબાણકર્તાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓના આધારે કુલ-૨૭ દબાણકારો દ્વારા દબાણ કર્યું હોવાનું પુરવાર થયું હતું.દબાણ મુક્તિ અભિયાન અન્વયે ભાવનગર શહેરના નવાપરા કબ્રસ્તાન સહિતના સ્થળોએ અંદાજે રૂ.૩૦ કરોડની સરકારી જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે.


27 દબાણકારો દ્વારા દબાણ હોવાનું પુરવાર

ભાવનગર શહેરનાં સીટી સર્વે વિસ્તારમાં સરકાર તરીકે નોંધાયેલ મિલ્કત પર ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણ થયાનુ ફલીત થયું હતું.જે બાદ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેટ દબાણકારોને જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ અન્વયે દબાણ અંગેનાં પુરાવાઓ રજૂ કરવા માટે તા.૨૩ અને ૨૮/૦૪/૨૦૨૫ થી નોટીસ આપવામાં આવી હતી.જે અન્વયે દબાણકર્તાઓએ રજૂ કરેલ પુરાવાઓના આધારે કુલ- ૨૭ દબાણકારો દ્વારા દબાણ હોવાનું પુરવાર થતા જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ અન્વયે તા.૧૪/૦૮/૨૦૨૫ નાં રોજ હુકમ કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

આ હુકમ સામે દબાણકર્તાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પે.સીવીલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી.જેના તા.૧૯/૦૮/૨૦૨૫નાં હુકમ અનુસાર દબાણકારોને કલમ-૬૧નાં હુકમ સામે અપીલ દાખલ કરવાનાં સમય સુધી દબાણ અંગે કોઇ કાર્યવાહી ન કરવા હુકમ કરવામાં આવ્યો હતો.ગુજરાત હાઇકોર્ટનાં આ હુકમ અન્વયે દબાણકર્તાઓ દ્વારા ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી.જે અપીલ ગત તા.૨૧/૧૧/૨૦૨૫ નાં રોજ ડિસ્પોસ કરી દેવામાં આવી છે.

૩૦ કરોડની સરકારી જમીન પરનુ દબાણ દૂર કરાયુ

ગુજરાત હાઇકોર્ટનાં હુકમ અનુસાર દિન-૯૦ નો સમયગાળો પૂર્ણ થતા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-૧, ભાવનગર દ્વારા દબાણકારોને જમીન મહેસૂલ અધિનિયમ કલમ-૨૦૨ અનુસાર તા.૧૮/૧૧/૨૦૨૫ નાં રોજ નૉટીસ આપી દબાણ દિન-૭ માં ખુલ્લુ કરવા તાકીદ કરવામાં આવી હતી, જે સમયગાળો ગઇકાલ તા.૨૫/૧૧/૨૦૨૫ નાં રોજ પૂર્ણ થયેલ છે.જે બાદ દબાણ બાબતે હાલ કોઈ સ્ટેટસક્વો ન હોઇ આજરોજ બજાર કિંમત અંદાજે રૂ.૩૦ કરોડની સરકારી જમીન પરનુ દબાણ દૂર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Junagadh News: સ્થાનિક પોલીસ વિભાગે કરેલી દરખાસ્ત હજુ ગૃહ વિભાગમાં અટવાઈ, એક દરખાસ્ત ત્રણ વર્ષથી પેન્ડિંગ

  • Follow us on: