છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન, વહન અને સંગ્રહ સામે જિલ્લા પ્રશાસન દ્વારા કડક અને સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે જિલ્લામાં કાર્યવાહી અને દંડ વસુલાતમાં નોંધપાત્ર વધારો થયો હતો.
નવેમ્બર 2025 અંતિત જિલ્લામાં કુલ 953 કેસ નોંધાયા
ગત વર્ષે નવેમ્બર 2024 અંતિત જિલ્લામાં ગેરકાયદેસર ખનન, વડન અને સંગ્રહના કુલ 474 કેસ કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ રૂપિયા 644.78 લાખની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે કે ચાલુ વર્ષે નવેમ્બર 2025 અંતિત જિલ્લામાં કુલ 953 કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં રૂપિયા 1290.44 લાખની નોંધપાત્ર વસુલાત કરવામાં આવી હતી. આ આંકડાઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એક વર્ષમાં કેસોની સંખ્યા તથા દંડ વસુલાત બંનેમાં બમણીથી વધુ વધારો થયો હતો.













