ગુજરાત ATS દ્વારા આતંકવાદી કૃત્યો અને ડ્રગ્સની હેરાફેરીના ગુનેગારોને ઝડપી લેવામાં મહત્વની કામગીરી કરવામાં આવી છે. ત્યારે વધુ એક વખત નશાકારક દવાઓ વિદેશમાં મોકલવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અલગ અલગ ફર્મ બનાવી થાઈલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં આ દવાઓ મોકલતા હતાં. ATS દ્વારા આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સાતમી માર્ચે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો
ગુજરાત ATS દ્વારા ગત તારીખ 7મી માર્ચના રોજ એટોમિડેટ પાવડરનો જથ્થો મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ, મલેશીયા, સિંગાપુર તથા અન્ય દેશોમાં ખોટા બીલો તથા ખોટા કસ્ટમ્સ ઉલયરન્સના કાગળો બનાવી એલોવેરા પાવડર તથા ગીનોપોલ 24 પાવડરના નામથી મિસલેબલીંગ તથા મિસડિક્લેરેશન કરી એક્ષપોર્ટ કરતા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આરોપી નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ગુનાની તપાસ દરમ્યાન તપાસ કરનાર અધિકારી દ્વારા તપાસ દરમ્યાન અન્ય આરોપીઓ ચેતનભાઇ કનુભાઈ વાવડીયા તથા ભૌતિક દામજીભાઈ પદમણીની આઠમી માર્ચે અટકાયત કરી હતી.













