રાજકોટ શહેરમાં વ્યાપારિક હરિફાઈ ના કારણે વેપારીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. રાજકોટમાં ફોટો ફ્રેમ બનાવવાનું કારખાનું ચલાવતા પ્રકાશભાઈ દેવજીભાઈ જાદવ નામના વેપારી પર ધંધાની હરિફાઈમાં સમાધાન કરવાના બહાને બોલાવી ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશભાઈ જાદવનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે મામલો હત્યામાં પલટાયો છે.


સમાધાન કરવા માટે પ્રકાશ જાદવને પોતાના ઘરે બોલાવ્યા

મળતી વિગતો અનુસાર, આરોપી સુનિલ પરમારે વ્યાપારિક હરિફાઈ બાબતે ચાલી રહેલા વિવાદનો અંત લાવવા અને સમાધાન કરવા માટે પ્રકાશભાઈ જાદવને પોતાના ઘરે બોલાવ્યા હતા. પ્રકાશભાઈ સમાધાનની આશાએ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં અગાઉથી જ કાવતરું ઘડવામાં આવ્યું હતું. 

6 જેટલા શખ્સો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા

બંને વચ્ચે સમાધાનની વાતો ચાલતી હતી તે દરમિયાન જ અચાનક સુનિલ પરમાર અને તેની સાથેના અન્ય આશરે 6 જેટલા શખ્સો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા.

બંને યુવકને ઇજા પહોંચી

આ હુમલામાં પ્રકાશભાઈ જાદવ અને તેમની સાથે ગયેલા વિજયભાઈ જાદવ નામના અન્ય એક યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બંને યુવાનોને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પ્રકાશભાઈ જાદવે દમ તોડી દીધો હતો, જ્યારે વિજયભાઈની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ 

આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે કાયદાના સકંજામાંથી બચવા માટે આરોપીઓએ પોલીસમાંખોટી ફરિયાદ પણ ઊભી કરી છે. મૃતકના પરિવારે પોલીસ કમિશનર અને વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે અને આ જઘન્ય અપરાધ આચરનારા તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર

  • Follow us on: