સુરત શહેર ફરી એકવાર હિંસક ઘટનાને લઈને ચર્ચામાં આવ્યું છે. સિંગણપોર વિસ્તારમાં બે યુવકોની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટુ માળી પોતાના મિત્રો સાથે ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન ત્યાં હાજર કેટલાક અન્ય યુવકો સાથે તેમની કોઈ બાબતે ઝઘડો થયો હતો.


10થી 15 યુવકોના ટોળાનો હુમલો

ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લગભગ 10થી 15 જેટલા યુવકોએ એકત્ર થઈને બંને યુવકો પર ચપ્પુ સહિતના હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ડોક્ટરોની ટૂંકી સારવાર બાદ બંને યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

સુરક્ષાને લઈને ફરી ઉભા થયા સવાલ

આ ઘટનાની જાણ થતાં જ સિંગણપોર વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ અને ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. બંને યુવકોના પરિવારજનો પર આ ઘટનાનો ઊંડો આઘાત પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે. સિંગણપોર પોલીસએ ઘટનાની ગંભીર નોંધ લઈ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હુમલામાં સંડોવાયેલા આરોપીઓને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીઓને ઝડપવા માટે ટીમો પણ રચવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વધતી ગુનાખોરી અને જાહેર સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે.

આ પણ વાંચો : Gir Somnath: જમજીર ધોધ પર પ્રતિબંધ છતાં ટોચ પરથી ઊંડા પાણીમાં યુવાનોની જોખમી છલાંગ, વીડિયો વાયરલ



  • Follow us on: