મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂન 2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોના ઝડપી,પારદર્શક અને સમયબદ્ધ નિરાકરણ માટે સંબંધિત વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લા સ્તરના અધિકારીઓએ અરજીઓનો પૂરતો અભ્યાસ કરીને જિલ્લા કક્ષાએ જ હકારાત્મક અથવા નકારાત્મક નિર્ણય લેવો જોઈએ.જો પ્રશ્ન રાજ્ય સરકારના કાર્યક્ષેત્રનો હોય તો વિલંબ વિના દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવી જોઈએ. અરજદારોને લાંબા સમય સુધી નિર્ણયની રાહ જોવી ન પડે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે સૂચના
મુખ્યમંત્રીએ જૂન-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રત્યક્ષ રજૂઆતો લઈને આવેલા સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી હતી.આ રાજ્ય સ્વાગતમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2228 અને તાલુકા સ્વાગતમાં 2854 સહિત સમગ્રતયા 5200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
અરજદારને વારંવાર ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર, મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન,ગૌચર જમીન પર થયેલા દબાણ, જમીન રિ-સરવેમાં વિસંગતા અંગે રજૂઆત મળી હતી.છોટાઉદેપુર જિલ્લાના એક અરજદારે સિંચાઈ યોજનાના કારણે તેમની જમીન ડૂબમાં જતાં પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન લાંબા સમયથી ફાળવવામાં ન આવ્યાની રજૂઆત કરી હતી.આ અંગે મુખ્યમંત્રીએ તાત્કાલિક જમીન ફાળવણી કરવા સૂચના આપતાં જણાવ્યું કે,બે જિલ્લાઓના કલેક્ટરો તેમજ સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનના અભાવે અરજદારને વારંવાર ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી.
યોગ્ય મોનિટરિંગ કરવા સંબંધિતોને સૂચના આપી
મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગની મુખ્ય જવાબદારી નક્કી કરી 30 દિવસમાં વૈકલ્પિક જમીન ફાળવવા સૂચના આપી હતી.મહેસાણા જિલ્લાના એક અરજદારે રિ-સરવેના કારણે જમીનના ક્ષેત્રફળમાં ઘટાડો થવાની રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક માપણી કરીને ક્ષેત્રફળની ક્ષતિ સુધારવાની કાર્યવાહી 15 દિવસમાં પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપીને જમીન માપણી અને રિ-સરવે ક્ષેત્રફળ સુધારાના પ્રશ્નોમાં ILR કચેરીને જવાબદારીપૂર્વક કાર્ય કરી ખેડૂતોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.વારંવાર મામલતદાર અને ILR વચ્ચે બિનજરૂરી પત્ર વ્યવહાર ટાળીને, સંકલનથી ખેડૂતોના આવા પ્રશ્નોનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા અંગે યોગ્ય મોનિટરિંગ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ Ambaji News: અંબાજીમાં આતંક મચાવનાર 3 આરોપીઓની પોલીસે અટકાયત કરી