ગાંધીનગર ખાતેથી કોળી સમાજના અગ્રણી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નવી દિલ્હીમાં યોજાયેલા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશન અંગે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ગત 14 જૂનના રોજ દિલ્હી ખાતે યોજાયેલું આ અધિવેશન ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું, જેમાં દેશના ૧૫ જેટલા જુદા જુદા રાજ્યોના પ્રમુખો અને આગેવાનોએ ખાસ હાજરી આપીને સમાજના ઉત્થાન માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
બંધારણમાં જરૂરી બંધારણીય જોગવાઈઓ ઉમેરાશે
કુંવરજી બાવળિયાએ સંમેલનના નિર્ણયો અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હવેથી કોળી સમાજના સંગઠનમાં યુવાનો અને મહિલાઓને સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. આ ફેરફારોને કાયમી સ્વરૂપ આપવા માટે સમાજના બંધારણમાં જરૂરી બંધારણીય જોગવાઈઓ ઉમેરવા અંગે પણ સહમતી સાધવામાં આવી છે. આ ઉપરાંત, દેશના તમામ રાજ્યોમાં વસતા સમાજના પરિવારોના બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત અને ગુણવત્તાસભર બને તે મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.













