ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા અને રાજ્યના પવિત્ર યાત્રાધામો ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે વિવિધ મહત્વની દરખાસ્તોને મંજૂરી આપી છે.રાજ્યના વિકાસ મોડલમાં પ્રવાસન ઉદ્યોગ અને યાત્રાધામોનો વિકાસ એ સરકારની પ્રાથમિકતા રહી છે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે તે હેતુથી આજે વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ અને આસ્થાના કેન્દ્રોના વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે મંજૂરી
વલસાડ જિલ્લાના કોસંબા ખાતેના અક્ષરપુરષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં સુવિધાઓ ઉમેરવા માટે,ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળે પ્રવાસીઓના આકર્ષણ સમાન સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ પર જતા રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.તે ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલર રૂફ ટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે.જ્યારે અમદાવાદ જિલ્લાના ભોંયણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે.













