રાજ્યમાં શિક્ષણના ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 સંપન્ન થયો છે.જેમાં રાજ્યભરમાંથી ત્રણ દિવસ દરમિયાન કુલ 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવીને શિક્ષણના અભિયાનમાં સહભાગી થયા છે.પ્રવેશોત્સવના છેલ્લા દિવસે એટલે કે 25 જૂનના રોજ રાજ્યભરમાં કુલ 8287 ગામો અને 12495 શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત કુલ 27959 મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ઉત્સાહ વધાર્યો હતો.તા.23 થી 25 જૂન 2026 દરમિયાન ત્રણ દિવસમાં રાજ્યભરમાં કુલ 25625 ગામો અને 37211 શાળાઓને આવરી લેવામાં આવી છે. 


62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો

આજે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો હતો. બાલવાટિકામાં કુલ 1.46 લાખ કરતાં વધુ નવા નામાંકન નોંધાયા છે.આ ઉપરાંત ધોરણ 1માં 34 હજારથી વધુ,ધોરણ 9માં 1.79 લાખથી વધુ,ધોરણ 11માં 91613 જેટલા વિદ્યાર્થીઓ તેમજ Back to School Survey’ મુજબ 25070 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સફળ બનાવ્યો છે.આજે રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની 3935 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

શિક્ષણના આ યજ્ઞને વધુ વેગ આપ્યો

રાજ્યની ઉદાર જનતાએ આ શિક્ષણ યજ્ઞને લોકોત્સવનું સ્વરૂપ આપીને ખુલ્લા હાથે સહયોગ આપ્યો છે.આ અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ. 10.71 કરોડ કરતાં વધુની માતબર સહાય પ્રાપ્ત થઈ હતી.તેમાં 1.52 કરોડ કરતાં વધુ રોકડ સ્વરૂપે તેમજ રૂ.9.18 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ શૈક્ષણિક સાધનો શાળાઓને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.ત્રણ દિવસ દરમિયાન દાતાઓ દ્વારા રાજ્યભરમાંથી રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.97 કરોડથી વધુનું દાન આપીને શિક્ષણના આ યજ્ઞને વધુ વેગ આપ્યો છે. 

આ પણ વાંચોઃ Sandesh Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?



  • Follow us on: