પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં યાત્રિકોના સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક અત્યંત કડક અને પ્રશંસનીય વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. સોમનાથ દર્શનાર્થે આવેલા જયપુરના એક પ્રવાસી પરિવારના બાળકોને સ્થાનિક રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને શ્રી સોમનાથ ટ્રસ્ટે ત્વરિત પગલાં ભરતા જવાબદાર 'શિવશક્તિ રેસ્ટોરન્ટ'ને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે.
ઝીરો ટોલરન્સ નીતિ અને નોટિસ
મળતી માહિતી મુજબ, જયપુરથી આવેલા પરિવારના બાળકોની તબિયત ખોરાકી ઝેરના કારણે લથડતા જ ટ્રસ્ટ એક્શન મોડમાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા બેદરકાર વેપારીને કડક શબ્દોમાં કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ટ્રસ્ટે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચીમકી આપી છે કે, સોમનાથ આવતા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. યાત્રિકોને અપાતા ભોજનની ખાદ્ય ગુણવત્તા અને હોટલ-રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે ટ્રસ્ટ 'ઝીરો ટોલરન્સ'ની નીતિ ધરાવે છે.













