અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ મેદાન ખાતે 'સમસ્ત સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ' દ્વારા એક ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી હતી. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી આવતા અને નવનિયુક્ત થયેલા મંત્રીઓ તથા રાજકીય અગ્રણીઓનું સન્માન કરવાનો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી જગદીશ પંચાલ અને કૌશિક વેકરિયા જેવા દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા, જે પાટીદાર સમાજની રાજકીય અને સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યું હતું.


લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન

મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લેઉવા પાટીદાર ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા, જેને પગલે નિકોલ વિસ્તારમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ સમાજના ઉત્થાન, શિક્ષણ અને સંગઠન પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પાટીદાર સમાજના વિકાસ માટેના ફાળાને બિરદાવ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે ખોડલધામ ટ્રસ્ટ અને સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આ મહાસંમેલન માત્ર એક સન્માન સમારોહ જ નહીં, પરંતુ આગામી સમયમાં સમાજના પ્રશ્નો અને વિકાસ માટેની દિશા નક્કી કરતું એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે.

આ પણ વાંચો : Gir- Somnath News : સોમનાથમાં આસ્થાનું ઘોડાપૂર, નાતાલના મિની વેકેશનમાં 3 લાખથી વધુ ભક્તોએ શીશ ઝુકાવ્યું

  • Follow us on: