અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ પાલડી વિસ્તારમાં મધરાતે જાહેરમાં મારામારી અને જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલડીની સુખસાગર સોસાયટી પાસે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ એક 45 વર્ષીય વ્યક્તિ પર કુહાડી જેવા ઘાતક હથિયારથી હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
શું છે સમગ્ર બનાવ?
મળતી માહિતી મુજબ, 45 વર્ષીય પોપટભાઈ મકવાણા નામની વ્યક્તિ પર વિજય પરમાર, ઉમેશ રાઠોડ અને હાર્દિક રાઠોડ નામના શખ્સોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને આ શખ્સોએ પોપટભાઈને જાહેરમાં ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ કુહાડી જેવા હથિયાર વડે પોપટભાઈ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. સૌથી કરૂણ બાબત એ છે કે, જ્યારે આ હુમલો થયો ત્યારે પોપટભાઈના પત્ની ત્યાં હાજર હતા અને તેમની નજર સામે જ પતિને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા હતા.













