અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી પ્રસ્થાન કરાવવા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ હંમેશાં સરદારસાહેબનું સન્માન કર્યું છે.2014થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવાની પરંપરા તેમણે શરૂ કરાવેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી નરેન્દ્ર મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે.સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે.
નેશન ફર્સ્ટની ભાવના ઉજાગર કરવાનો સંકલ્પ
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે 565 દેશી રજવાડાંઓને એક સૂત્રમાં બાંધીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. વડાપ્રધાન સરદાર સાહેબના એ જ વિચારો અને જીવનમૂલ્યોને જન જન સુધી પહોંચાડી 'એક ભારત શ્રેષ્ઠ ભારત' માટે પ્રયાસો કરે છે. સરદાર સાહેબની જેમ સૌના મનમાં નેશન ફર્સ્ટની ભાવના ઉજાગર કરવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે.













