ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન અને મહેસૂલ વિભાગના નિયમોને ધ્યાને રાખીને આગામી તા. ૧૧ મે થી ૦૭ જૂન, ૨૦૨૬ દરમિયાન ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, તેમ ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
અપીલ કે રિવિઝન અરજીઓ વગેરે સ્વીકારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ વેકેશન દરમિયાન અરજન્ટ હિયરિંગના કેસો જે કામચલાઉ મનાઈ હુકમવાળા તથા જે કેસોમાં વેકેશન પહેલા બંને પક્ષકારોએ સંમતિ આપી હોય અને તે સંમતિ પંચ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હોય તેવા કેસો સિવાયની સુનાવણીની કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે નહીં. વધુમાં,આ વેકેશન દરમિયાન ગુજરાત મહેસૂલ પંચની કચેરીના કામકાજનો સમય રજાના દિવસો સિવાય સવારે ૧૦:૩૦ કલાકથી સાંજે ૬:૧૦ કલાક સુધીનો રહેશે. આ સમય દરમિયાન અપીલ કે રિવિઝન અરજીઓ વગેરે સ્વીકારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે.













