ગુજરાતમાં કચ્છ સહિત હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાની ઘટનાો વધતાં લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે એક સપ્તાહમાં સતત બીજી વખત અમરેલીમાં ધરતીમાં ધ્રુજારી આવી છે. ગઈકાલે મોડી રાત્રે અમરેલીના ખાંભા સહિત ગીરના વિસ્તારોમાં ધરતીકંપ અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો.
સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ પુષ્ટી કરાઈ
અમરેલીમાં ગઈકાલે રાત્રે 12.50 કલાકે ખાંભા શહેર તેમજ ગીરના તાતણીયા,ઉમરીયા,પીપળવા,નાનુડી નાના વિસાવદર,સહિત ગામોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 44 કિ.મી દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું હતું.અમરેલીમાં ગઈકાલે રાત્રે આવેલા આ ભૂકંપની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ પુષ્ટી કરવામાં આવી છે.













