આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેમાં છેલ્લા 5 મહિનાથી નોકરિયાતો અને વિદ્યાર્થીઓને 40 કિલોમીટર ફરીને અવરજવર કરવાની ફરજ પડી હતી. સરકારે ગંભીરા બ્રિજ પર સ્ટીલ બ્રિજ બનાવી રાહદારીઓ તેમજ ટુ-વ્હીલર વાહનચાલકો માટે ફરીથી શરૂ કરવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ,નોકરિયાતો અને ધંધાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.સમારકામ પૂર્ણ થવાથી આ બંને જિલ્લાઓ વચ્ચે અવરજવર કરતા લોકોને મોટી રાહત મળશે અને તેમનો સમય તથા અંતર બચશે.
નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓંને 40 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી
ગત જુલાઇ માસમાં આણંદ જિલ્લામાં મહી નદી ઉપર આવેલ ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયેલ. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડી હતી. જેમાં આણંદના ગંભીરા,બામણગામ સહીતના ગામોમાંથી વડોદરા જિલ્લામાં નોકરી અર્થે જતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓંને 40 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી હતી જેમાં સમય અને નાણાંનો પણ વ્યય થતો હતો.તેમજ ગંભીરા તરફ આવેલ નાના ધંધાર્થીઓના ધંધા રોજગાર પણ ઠપ્પ થઇ ગયા હતા.જેને લઇ તૂટી પડેલ બ્રિજનું સમારકામ કરીને વૈકલ્પિક રીતે શરૂ કરવા માટે સ્થાનિકો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું













