લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર ગણાતા ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલની વરણી કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી સંભાળ્યા બાદ અનાર પટેલે પોતાના નિવેદનથી રાજકીય ગલીયારીઓમાં ચાલતી ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે અને સંગઠનના આગામી વિઝન વિશે સ્પષ્ટતા કરી છે.
ખોડલધામ એ સેવાનું પ્લેટફોર્મ છે
ખોડલધામ અને રાજકારણ અંગે સ્પષ્ટતા કરતા અનાર પટેલે જણાવ્યુ કે, ખોડલધામ એ સેવાનું પ્લેટફોર્મ છે અને તેને રાજકારણ સાથે ન જોડાવું જોઇએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, મારે રાજકારણમાં આવવા માટે ખોડલધામના પ્લેટફોર્મની જરૂર નથી અને મેં મારી કોઇ પણ રાજકીય પ્રોફાઇલ બનાવી નથી. વધુમાં તેમણે ઉમેર્યુ છે કે ખોડલધામની જરૂર રાજકીય પક્ષોને છે, સંસ્થાને રાજકારણની નથી. મીડિયા દ્વારા ચૂંટણી સમયે અપાતી ટિકીટોની અટકળો પર કટાક્ષ કરતા તેમણે કહ્યુ કે, દરેક વખતે ચૂંટણી આવે ત્યારે મીડિયા જ મને ટિકિટ આપી દે છે. જ્યારે મારો ઉદ્દેશ્ય માત્ર સેવા કરવાનો છે.













