અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકામાં આવેલા પ્રાચીન તીર્થસ્થાન શામળાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે.તા. ૮ અને ૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બે દિવસીય શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપી અંદાજિત 150 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.
વહીવટી ટીમ સાથે સ્થળની મુલાકાત લીધી
મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે જિલ્લા વહીવટી ટીમ સાથે સ્થળની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, પુરવઠા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ માટે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી અને સુચારુ આયોજન માટે તાકીદ કરવામાં આવી હતી. શામળાજી મહોત્સવ દરમિયાન ભક્તોને સુખદ અનુભવ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.













