ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાં વન્યપ્રાણીના શિકાર અને મૃત્યુની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે.દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીકના વેરાન વિસ્તારમાં અને ઝાડી-ઝાંખરામાં શિકારીઓ દ્વારા ડુક્કર પકડવા માટે ગોઠવવામાં આવેલી જાળમાં એક મહાકાય નિલગાય ફસાઈ ગઈ હતી. જેના કારણે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું.વન વિભાગને બાતમી મળતા જ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં નિલગાય જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી.
આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું
વાગરા વન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું હતું.તપાસમાં દહેજના રહેવાસી અજય કનુ તલાવીયા અને રાકેશ શનાભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા.પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આ જાળ ડુક્કર પકડવા બિછાવી હતી, પરંતુ તેમાં નિલગાય ફસાઈ ગઈ હતી.ભરૂચના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક વિજયભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા આર.એફ.ઓ. વી.વી.ચારણ અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કુલ રૂપિયા ૨ લાખનો દંડ વસૂલ કર્યો છે.વન વિભાગની આ સઘન કામગીરીને પગલે ગેરકાયદેસર શિકાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.













