દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે એક વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.


હુમલામાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી

માહિતી મુજબ 70 વર્ષીય કમીબેન પોતાની દીકરીના ઘરે લગ્ન પ્રસંગે આવ્યા હતા. લગ્નની તૈયારીઓ દરમિયાન ગામ નજીક આવેલા વિસ્તારમાં તેઓ બહાર નીકળ્યા હતા ત્યારે અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મહિલાને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી

સ્થાનિક લોકોના ચીસા સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલમાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાની શોધખોળ માટે કામગીરી શરૂ કરી હતી. વન વિભાગ દ્વારા ગામના લોકોને સાવચેતી રાખવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

ગ્રામજનોમાં ભયનો માહોલ

છેલ્લા કેટલાક સમયથી દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીઓ ગામ નજીક દેખાવાની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરા મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.


આ પણ વાંચો----   Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

  • Follow us on: