દેશના આર્થિક વિકાસને વેગ આપવા અને ખનીજ ક્ષેત્રે નવીનતમ તકો શોધવા માટે આજથી ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને માઇનિંગ સેક્ટરના ભવિષ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં તેની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


ખનિજ ક્ષેત્ર એ આર્થિક વિકાસનો આધાર સ્તંભ

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ખનિજ સંપત્તિ એ કોઈપણ દેશના વિકાસનો મજબૂત આધાર સ્તંભ છે. ખાસ કરીને નવા ભારતના નિર્માણ માટે માઇનિંગ સેક્ટર અત્યંત નિર્ણાયક છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2014 બાદ દેશના માઇનિંગ સેક્ટરમાં નીતિગત પરિવર્તનો આવ્યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધી છે. આ પરિવર્તનો આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની કડી સાબિત થઈ રહ્યા છે.

વિકાસ અને પર્યાવરણનું સંતુલન

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ શિબિરમાં એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે પ્રકૃતિના વિનાશથી ક્યારેય સાચો વિકાસ થઇ શકે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે આપણી પાસે રહેલી પ્રાકૃતિક સંપત્તિનો ઉપયોગ એવી રીતે થવો જોઇએ કે જે રાષ્ટ્રના હિતમાં હોય અને સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય.વિકાસના નામે કુદરતી સંસાધનોનો આંધળો ઉપયોગ જોખમી બની શકે છે.જેથી સંતુલિત વિકાસ જ શ્રેષ્ઠ માર્ગ છે.

પરિવર્તન અને ભવિષ્યની રાહ

છેલ્લા કેટલાંક વર્ષોમાં ખાણ અને ખનીજ ક્ષેત્રમાં આવેલા ટેકનોલોજીકલ અને ડિજિટલ ફેરફારોની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યુ હતુ કે દરેક સેક્ટર હવે આત્મનિર્ભર બનવા માટે સજ્જ થઇ રહ્યુ છે. આ શિબિર દ્વારા ખનિજ સંપત્તિના મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ માટેના નવા આયામો ખુલશે.

આ પણ વાંચોઃ Rajkot News : ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, 24 કલાકમાં નાના-મોટા 16 આંચકાથી ફફડાટ


  • Follow us on: