વેરાવળથી લગભગ 23 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી કરતી બોટમાંથી એક માછીમાર ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તાત્કાલિક હરકતમાં આવી હતી. ફિશિંગ બોટ ગુરુ કૃપા તરફથી મેડિકલ ડિસ્ટ્રેસ કોલ મળતા જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C-149ને મદદ માટે મોકલવામાં આવી હતી.
વેરાવળથી 23 નોટિકલ માઈલ દૂર માછીમાર ઈજાગ્રસ્ત
માહિતી મળતા જ કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન તરત જ શરૂ કરવામાં આવ્યું હતું.કોસ્ટ ગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત માછીમારને બોટ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ઘાયલ માછીમારને વેરાવળ ખાતે કોસ્ટ ગાર્ડ જેટી પર લાવવામાં આવ્યો હતો. ત્યાં સ્ટેશન મેડિકલ ઓફિસર દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.પ્રાથમિક સારવાર બાદ માછીમારને વધુ સારવાર માટે વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમયસર મળેલી કોસ્ટ ગાર્ડની મદદથી માછીમારને બચાવી શકાયો હોવાનું જણાવાયું છે.













