જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ધ્રોલ નજીક ખારવા ગામ પાસે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા 'ગણેશ વિદ્યા સંકુલ'માં એક યુવા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.


નર્સિંગના બીજા વર્ષમાં કરતી હતી અભ્યાસ

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિનીનું નામ પ્રજ્ઞા બાબુભાઈ પરમાર હતું. તે મૂળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કાકડખીલા ગામની વતની હતી. પ્રજ્ઞા અહીં ગણેશ વિદ્યા સંકુલમાં નર્સિંગ વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સંસ્થાની જ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી હતી. જોકે, કોઈ અગમ્ય કારણોસર તેણીએ હોસ્ટેલના રૂમમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

અગાઉ પણ આ હોસ્ટેલમાં બની ચૂક્યો છે આત્મહત્યાનો બનાવ

આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ ધ્રોલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા મૃતક પ્રજ્ઞાના પરિવારમાં ભારે ગમગીની અને આક્રંદ છવાઈ ગયું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ હોસ્ટેલમાં અગાઉ પણ એક વિદ્યાર્થીના આત્મહત્યાનો બનાવ બની ચૂક્યો છે, જેને પગલે સંસ્થાની સુરક્ષા અને વાતાવરણ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

હાલમાં વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું છે, તે જાણી શકાયું નથી. ધ્રોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Ahmedabad Plane Crash: સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો, પરિવારની વેદનાની વાચા


  • Follow us on: