જૂનાગઢમાં યોજાનારા મિની કુંભ મેળા એટલે કે મહાશિવરાત્રીના મેળાને લઈને અત્યારે ભવનાથ તળેટીમાં ભક્તિમય માહોલ જામ્યો છે. ભવનાથ મંદિરમાં નૂતન ધ્વજદંડનું સ્થાપન કરવામાં આવ્યું છે.


 55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના

મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર 55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી છે. આ ધ્વજદંડની વિશેષતા એ છે કે તેમાં ટોચ પર ત્રિશુલ પણ અંકિત કરવામાં આવ્યું છે, જે મહાદેવની શક્તિનું પ્રતીક છે.

ભવ્ય ધ્વજદંડ તૈયાર કરતા અંદાજે 22 દિવસ જેટલો સમય લાગ્યો

આ ભવ્ય ધ્વજદંડ તૈયાર કરતા અંદાજે 22 દિવસ જેટલો સમય લાગ્યો હતો. મંદિરના ઊંચા ઘુમ્મટ પર આ ભારેખમ દંડ સ્થાપિત કરવો એક પડકારજનક કાર્ય હતું. ક્રેન મારફતે અને કારીગરોની 8 કલાકની સતત મહેનત બાદ સફળતાપૂર્વક આ સ્થાપન પૂર્ણ કરવામાં આવ્યું છે.

11 ફેબ્રુઆરી ના પવિત્ર દિવસે આ નવા ધ્વજદંડ પર વિધિવત રીતે ધ્વજારોહણ કરાશે

આગામી 11 ફેબ્રુઆરી ના પવિત્ર દિવસે આ નવા ધ્વજદંડ પર વિધિવત રીતે ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે જ મેળાની સત્તાવાર તૈયારીઓ અને ધાર્મિક વિધિઓનો પ્રારંભ થશે.મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભવનાથ વિસ્તારમાં સુશોભન અને વ્યવસ્થાના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પરિસરને લાઈટિંગ અને ફૂલોથી શણગારવાની કામગીરી પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.

 નવો ધ્વજ દંડ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢનો આ મેળો માત્ર ઉત્સવ નથી, પણ સાધુ-સંતો અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ વખતે નવો ધ્વજ દંડ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.


આ પણ વાંચો------      Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

  • Follow us on: