જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે.જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે.મૃત્યુ પામનાર કર્મચારી અશરફભાઈ અલીભાઈ ચૌહાણના પરિવારને મળવાપાત્ર નાણાકીય સહાય ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાય તે દરખાસ્ત કરવાના વન વિભાગને આદેશ આપ્યા છે.


ખેતરમાં સિંહણ બાળકને ઉપાડી ગઈ હતી

આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે,જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણ દ્વારા એક બાળક પર હુમલો કરી મૃત્યુ નિપજાવવાની દુઃખદ ઘટના સામે આવી હતી.આ ગામ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જની ગ્રાસ રાઉન્ડની માણંદીયા બીટના કાર્યક્ષેત્રમાં આવે છે. આ નાની મોણપરી ગામના ખેડૂત ખાતેદાર પરસોત્તમભાઈ વઘાસીયાના ખેતરમાં મજુરી કામ કરતા શૈલેષભાઈ પારગીના પુત્ર શિવમ પારગી તા.૦૪/૦૧/૨૦૨૬ ના રોજ વાડીએ આવેલ મકાનની બાજુમાં રમતો હતો તે દરમિયાન સવારે ૧૦-૩૦ કલાકે અચાનક વન્યપ્રાણી સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સિંહણ બાળકને તુવેરના પાકમાં ઢસડી ગયેલ જે દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વન કર્મી મૃત્યુ પામ્યા

જેને લઈને આ સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં હુમલો કરનાર સિંહણ માદાને પકડીને સ્થળાંતર કરવાની કાર્યવાહી વિસાવદર રેન્જના સ્ટાફ તથા વેટનરી ઓફિસર, સાસણની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. જે તુવેરના ખેતરમાં સિંહણને પકડવા માટે ટ્રેન્કવીલ્કાઈઝ્સ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી,ત્યારે ટ્રેંકવીલાઈઝર ગનમાંથી છોડવામાં આવેલ ડાર્ટ તુવેરના છોડમાં ફસાઈને દિશા બદલતા રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલ અશરફભાઈ ચૌહાણના ડાબા હાથમાં કોણીથી ઉપરના ભાગે વાગી હતી.જેથી તેમને સારવાર માટે પ્રથમ વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સરકારી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ૧૦૮ મારફતે વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા.જ્યાં આજે વહેલી સરવાર સારવાર દરમિયાન તેમનું દુઃખદ મૃત્યુ થયું છે.

જરૂરી સહાય વારસદારને ચૂકવવા માટેની દરખાસ્ત

મૃતક અશરફભાઈ અલીભાઈ ચૌહાણ ગીર પશ્ચિમ વિભાગ, જુનાગઢ હેઠળની વિસાવદર રેન્જમાં છેલ્લા બે વર્ષથી વન્યપ્રાણી અવલોકન,રેસ્ક્યુ સહિતની કામગીરી માટે ટ્રેકર તરીકે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત કાર્યરત હતા.તેમના પરિવારને નાણાકીય સહાય મળી રહે તે માટે સ્વ.વિશાણા મેમોરીયલ ગીર ફોરેસ્ટ સ્ટાફ વેલ્ફેર એસોશીએશન સાસણ (ગીર)સહકારી મંડળીમાંથી મળવાપાત્ર રૂ.પાંચ લાખ ચુકવવામાં આવશે.આ ઉપરાંત ટ્રેકર માટે લેવામાં આવેલ અકસ્માત વિમાની રકમ રૂ.૧૦ લાખ વારસદારને ચૂકવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રી રાહતફંડમાંથી પણ સહાય મળે તે માટે દરખાસ્ત મોકલવા વન વિભાગના અધિકારીઓને મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ Daman News: રોંગ સાઈડમાં આવી રહેલા સ્કોર્પિયોના ચાલકે અકસ્માત સર્જ્યો, બે કાર સામ સામે અથડાતા એકનું મોત


  • Follow us on: