સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી વ્યાજખોરોના ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના મટોડા ગામે રહેતા એક નિર્દોષ પરિવારને વ્યાજખોર દ્વારા અસહ્ય હેરાનગતિ કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાની વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પરિવારે આખરે કંટાળીને કાયદાનો સહારો લીધો છે.


 નાણાં વ્યાજ સમેત પૂરેપૂરા પરત ચૂકવી દીધા

મળતી માહિતી મુજબ, મટોડા ગામના પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમણે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સમેત પૂરેપૂરા પરત ચૂકવી દીધા છે. આમ છતાં, લોભી વ્યાજખોરની દાનત બગડતાં તે હજુ પણ બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. વ્યાજખોર દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપીને પરિવારને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે વ્યાજખોરે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી દીધી હતી.

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ

વ્યાજખોરના સતત ડર અને આતંકના કારણે ફફડી ગયેલા પરિવારે જીવ બચાવવા માટે અંતે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડ્યા હતા. પીડિત પરિવારે આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે

 પીડિત પરિવારને ક્યારે ન્યાય મળશે

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવાની વાતો વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવા તત્વો બેફામ બન્યા છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ આ મામલે ગુનેગાર સામે કેવા કડક પગલાં ભરે છે અને પીડિત પરિવારને ક્યારે ન્યાય અપાવે છે.  


આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ

  • Follow us on: