મોરબીનો યુવાન સાહિલ માજોઠી છેલ્લા કેટલાય સમયથી યુક્રેનની જેલમાં કેદ છે, જેને ભારત પરત લાવવા માટે તેની માતાએ હવે સરકારના દ્વાર ખખડાવ્યા છે. સાહિલની માતા હસીનાબેન માજોઠીએ તાજેતરમાં સાંસદ પરષોત્તમ રૂપાલાની મુલાકાત લઈને પોતાના પુત્રને સુરક્ષિત રીતે વતન પાછો લાવવા માટે કરુણ અપીલ કરી હતી.
ખોટા કેસમાં ફસાયાનો દાવો
હસીનાબેને આક્ષેપ કર્યો છે કે તેના પુત્ર સાહિલને રશિયામાં ડ્રગ્સના એક ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો હતો. આ કાયદાકીય ગૂંચવણો વચ્ચે સાહિલ અત્યારે યુક્રેનની જેલમાં બંધ છે. પરિવારના જણાવ્યા અનુસાર, તેમના વકીલે બે દિવસ પહેલા જ યુક્રેન જઈને જેલમાંથી સાહિલ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવી હતી. જેનાથી પરિવારને તેના જીવિત હોવાથી હાશકારો મળ્યો છે.













