પાટણ જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા એક મજબૂત સુરક્ષા કવચ મળ્યું છે. આ યોજના વર્ષ 2018થી પાટણ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી સારવારના ખર્ચથી મુક્તિ અપાવી રહી છે.જિલ્લા પંચાયત પાટણની આરોગ્ય શાખા દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના અંતર્ગત વર્ષ 2018થી અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 1 લાખ 28 હજારથી વધુ દર્દીઓએ વિવિધ સારવાર પેકેજ હેઠળ લાભ મેળવ્યો છે, જેમાં કુલ મળીને 3 અબજ 15 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે.
પાટણમાં આયુષ્માન યોજનાનો વ્યાપ વધ્યો
વર્ષ 2025 દરમિયાન પણ યોજનાનો વ્યાપ સતત વધતો રહ્યો છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 72,786 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ડના માધ્યમથી 48 કરોડ રૂપિયાથી વધુની સારવારનો લાભ જિલ્લાવાસીઓને મળી ચૂક્યો છે. યોજનાને વધુ સમાવેશક બનાવવા માટે 70 વર્ષથી ઉપરના વડીલો માટે વયવંદના યોજના અંતર્ગત વિશેષ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લામાં અત્યાર સુધી 57,554 વડીલોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પેન્શનરોને પણ આ યોજનાનો લાભ આપવા માટે કાર્ડ વિતરણની કામગીરી ચાલુ છે.













