રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા અર્જુન જ્વેલર્સના માલિક દ્વારા પોતાને ત્યાં અગાઉ હેડ કેશિયર તરીકે કામકાજ કરનારા હિતેશ પરમાર નામના વ્યક્તિ વિરુદ્ધ 1.99 કરોડ રૂપિયાની રોકડ તેમજ સોના સહિતની મત્તાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતાની સાથે ગણતરીની કલાકોમાં બોરસદ ખાતેથી હિતેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે.ગુનાના કામે કોર્ટમાં રજૂ કરતા તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
હિતેશ પરમાર પાસે જુદી જુદી રકમ જમા કરાવી
અર્જુન જ્વેલર્સના માલિક અને 42 વર્ષીય સોની વેપારી મનીષ પટેલે પોતાના તત્કાલીન હેડ કેશિયર હિતેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં મનીષ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના બોરસદના વતની હિતેશ પરમારને વર્ષ 2022માં અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો.છેલ્લા ત્રણ વર્ષથી તે હેડ કેશિયર તરીકે જવાબદારી સંભાળતો હતો. 5 ઓગસ્ટ 2025ના રોજ હિતેશની ગેરવર્તણૂકને કારણે તેને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો.તેના એક સપ્તાહ બાદ અર્જુન જ્વેલર્સ ખાતે એક પછી ગ્રાહકો પહોંચ્યા અને તેમણે ખુલાસો કર્યો કે,ઓક્ટોબર 2024થી મે 2025 દરમિયાન સોનાના દાગીના ખરીદવા માટે તેમણે હિતેશ પરમાર પાસે જુદી જુદી રકમ જમા કરાવી હતી.













