સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક લાચાર પુત્ર તેના ગંભીર રીતે બીમાર પિતાને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળવાને કારણે પોતાના ખભા પર ઉંચકીને હોસ્પિટલના વોર્ડમાં લઈ જઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવિલમાં પાયાની જરૂરિયાત ગણાતા વ્હીલચેરની વ્યવસ્થા ન હોવી તે તંત્રની નિષ્ફળતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કરે છે.
જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે
આ ઘટનાને પગલે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા અન્ય દર્દીઓ અને તેમના પરિવારોએ પણ પોતાની આપવીતી વર્ણવી હતી. આરોપ છે કે હોસ્પિટલમાં માત્ર સાધનોનો જ અભાવ નથી, પરંતુ દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં પણ સ્ટાફ દ્વારા આળસ દાખવવામાં આવે છે. વહીવટી તંત્ર પોતાની નૈતિક ફરજ નિભાવવામાં નિષ્ફળ સાબિત થયું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. વારંવાર વિવાદોમાં આવતી સિવિલ હોસ્પિટલની આ સ્થિતિમાં ક્યારે સુધારો આવશે અને જવાબદારો સામે ક્યારે કડક પગલાં લેવાશે, તે જોવું રહ્યું.













