સુરત શહેરમાં શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરીને લઈ ભારે ચર્ચા ઉભી થઈ છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવોએ પાલિકા સામે ગંભીર આરોપ લગાવ્યો છે અને આરટીઆઇમાં સામે આવેલા આંકડાઓએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
પાલિકા દ્વારા 30,300 શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરાયું હોવાનો દાવો
માહિતી મુજબ, વર્ષ 2018થી 2023 દરમિયાન સુરત શહેરમાં 33,761 શ્વાનો પકડવામાં આવ્યા, અને પાલિકા દ્વારા 30,300 શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં લગભગ 3.30 કરોડ ખર્ચ થયો હોવાનું જણાવાયું છે. જો વાર્ષિક સરેરાશ ગણીએ તો અંદાજે 8,000–8,500 શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું હતું.
સુરતમાં કુલ શ્વાનોની સંખ્યા માત્ર 2,760
જિલ્લા પંચાયતના સરકારી સેન્સસ મુજબ, સુરતમાં કુલ શ્વાનોની સંખ્યા માત્ર 2,760 છે. એટલે કે, પાલિકાએ પાંચ વર્ષમાં પકડેલા 33 હજાર શ્વાનોનો આંકડો સરકારી રેકર્ડ અને વાસ્તવિક સંખ્યા સાથે તદ્દન મેળ ખાતો નથી. RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ દાવો કર્યો જ્યારે શહેરમાં શ્વાનોની વાસ્તવિક સંખ્યા માત્ર 2,760 છે, તો 33 હજાર શ્વાનોની સંખ્યા પાલિકા કઈ રીતે દર્શાવી રહી છે?”
રસીકરણ અને ખસીકરણની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારની શક્યતા
આ મામલે સંજય ઇઝાવાના જણાવ્યા પ્રમાણે, પાલિકાએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. આ સાથે શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારની શક્યતા ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર અને લોકપ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દા પર આગળ કાયદેસર તપાસ કરવાની જરૂર જણાઈ રહી છે..
આ પણ વાંચો----- Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો, નામચીન ગોટી સામે નોંધાયા 6થી વધુ કેસ