બેઠકમાં સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરે જણાવ્યું કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ડુપ્લીકેટ નામો દૂર કરવા, ASD (ગેરહાજર, સ્થળાંતરિત થયેલા અને મૃત) મતદારોનું મેપિંગ અને લાયક મતદારોનો સમાવેશ કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો છે. આ કામગીરીના અંતે એક નવી, અત્યંત પારદર્શક અને અદ્યતન મતદારયાદી પ્રાપ્ત થશે, જે ભવિષ્યની ચૂંટણી પ્રક્રિયાઓને વધુ સરળ, સુદ્રઢ બનાવશે.
વ્યાપક સ્તરે મતદાર યાદી સુધારણા થઈ રહી છે
તેમણે ઉમેર્યું કે, મતદાર યાદી સુધારણા એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પણ ‘નેશન બિલ્ડીંગ’નું કાર્ય છે. ૨૫ વર્ષના લાંબા અંતરાલ બાદ જ્યારે આટલી વ્યાપક સ્તરે મતદાર યાદી સુધારણા થઈ રહી છે, ત્યારે તમામ અધિકારીઓને આ કામગીરી 'મિશન મોડ' માં હાથ ધરીને નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે તમામ અધિકારીઓને બાકી રહેલી હિયરીંગ, નોટિસ બજવણી, નવા મતદાર નોંધણી જેવી કામગીરી ચોકસાઈપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.













